દાડિયે જાતા હોઇએ કે ખેતર ભાગવું રાખ્યું હોય પરંતુ બાપ- દાદાનાં ખેતર જેવી મજા આ સંસારમાં કયાંય નથી. ભલેને ૨૦૦ વીઘા વાવવા રાખ્યું હોય અને એની સામે ખાલી વીસ વીઘા માલિકીનું ખેતર હોય તો પણ ઇ માલિકીનાં લીમડાને છાંયે જે પવન આવે ઇ સાત સોનાનો હોય છે. ભારતીયો આખી દુનિયામાં છવાયેલા છે અને તેમાંય ગુજરાતીઓતો તમે વિશ્વ્વનાં નકશામાં જયાં આંગળી મુકો ત્યાં છે. પણ પારકા ખેતરમાં તેઓ હવે દુઃખી છે. છેલ્લા કેટલાક સમયથી ભારત પાર ગયેલા ભારતીયો અને એમા આગળ પડતા એવા ગુજરાતીઓ પર વિવિધ પ્રકારનાં સંકટો આવી રહ્યા છે. હવે ઓસ્ટ્રેલિયા ચિત્રમાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા દુનિયાનો એક એવો દેશ છે જયાં વસ્તી વધારાની ઝુંબેશ ચાલે છે. વધુ સંતાનો હોય એનું સરકાર તરફથી સન્માન થાય છે. એટલે ઓસ્ટ્રેલિયામાં આવેતુઓ બહુ જોર ન કરી જાય અને આગળ નીકળી ન જાય એની ત્યાંના વતનીઓ હવે સાવચેતી રાખતા થયા છે. મંદીનાં આ દિવસોમાં અમેરિકા અને બ્રિટનમાં અનેક કિસ્સાઓમાં ગુજરાતીઓ સુખી છે અને વતનીઓ દુઃખી છે. જો કે ગુજરાતીઓમાંથી પણ કેટલાક લોકો મંદીના ભોગ બની રહ્યા છે પરંતુ વતનીઓને તો એવંુ જ દેખાય છે કે આ ગુજરાતીઓ વેપારી માનસને કારણે આપણા કરતા વધુ કમાય ચૂકયા છે. હવે રહી રહીને બ્રિટન અને અમેરિકાની પ્રજાને ભારતીયોનાં વિકાસની ઇર્ષા આવવા લાગી છે. બંને દેશોમાં સંખ્યાબંધ એશિયનો છે પરંતુ કિન્નાખોરી માત્ર ભારતીયો તરફ જ વિશેષ હોય એવું જોવા મળવા લાગ્યું છે. આ એક આવનારા દિવસોનો ખતરનાક સંકેત છે. ગુજરાતી પ્રજા હીંચકામાં હોય ત્યારથી એના માતા પિતા અમેરિકા બ્રિટનના સપના જુએ છે. છેલ્લા ૫૦વર્ષથી આ ક્રમ ચાલે છે. અને એનુ પરિણામ એ આવ્યું છે કે, વિશ્વ્વ પર શાસન કરનારા અને અમેરિકામાંથી કાર્યાન્વિત થનારા કેટલાક ઉદ્યોગો પર ભારતીયોનું અભુતપૂર્વ વર્ચસ્વ આવી ગયું છે. એન્ટવર્પમાં હીરા ઉદ્યોગમા, સીલીકોન વેલીમાં સોફટવેર ઇન્ડિસ્ટ્રીઝમાં બ્રિટન અમેરિકામાં હોટેલ – મોટેલ ઉદ્યોગમાં એમ ધીરે ધીરે મહત્વનાં ક્ષેત્રોમાં ભારતીયો ત્યાં પ્રભુત્વ જમાવવા લાગ્યા છે અને વતન ભારતમાં દેશનો આર્થિક વિકાસ દર સતત ઊંચે આવી રહ્યો છે. ઉપરાંત દુનિયાભરમાં જયાં પણ અદ્દભુત ઉચ્ચ શિક્ષણ મળે છે ત્યાં હજારો ડોલરની ફી ભરીને ભારતની આવતીકાલની પેઢી ભારે પરિશ્રમ કરીને ઉચ્ચત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવામાં વ્યસ્ત છે. આ જ સ્થિતિ જો આગળ ચાલે તો ભારત મહસત્તા તો બનતા બનશે પરંતુ એક જ દાયકામાં તે આર્થિક મહાસત્તા બની જશે. વિકસિત રાષ્ટ્રો ભારતને આ જ કારણસર સહેજ ત્રાંસી નજરે જોવા લાગ્યા છે.
ભારત ઘર આંગણે ગરીબી, આતંકવાદ, જાતિવાદ, રાજકીય ખટપટો, ગુનાખોરી, શહેરીકરણ, અવ્યવસ્થા, અપૂરતા સાધનો, બેકારી, અધૂરી તબીબીવ્યવસ્થાઓ, લશ્કરનું બાકી રહેલુ આધુનિકરણ, સરહદોનાં પ્રશ્વ્નો એમ અનેક મોરચે સંઘર્ષ કરે છે. છતાં આંતરરાષ્ટ્રીય તખ્તા પર એનું પોતાનું ચિત્ર એણે છેલ્લા દસ વર્ષમાં ઠેબા ખાતા ખાતા પણ સુધારવાનું ચાલુ રાખ્યું છે અને એને કારણે એક નિશ્ચિત દિશામાં એનો વિકાસ દિવસ અને રાત ધમધમી રહ્યો છે. આટલી પૂર્વભૂમિકા સાથે વાંચકોને આપણે ઓસ્ટ્રેલિયાના પ્રશ્વ્ન તરફ લઇ જઇએ. ઓસ્ટ્રેલિયા દુનિયાનો એક એવો દેશ છે. જે વિદેશી હુંડિયામણ જેટલંુ કમાય છે તેમાંનુ ૭૫ ટકા શિક્ષણમાંથી કમાય છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ અમેરિકા અને બ્રિટનની સરખામણીમાં વધુ સારુ શિક્ષણ આપે છે અને ઓછી તથા હપ્તા પદ્વતિથી ફી લે છે. વળી ઓસ્ટ્રેલિયામાં જે ભારતીયો ભણે તેને ત્યાં ને ત્યાં કાયમી વસવાટ કરવાની અને નોકરીની અદ્દભુત સુવિધાઓ ઓસ્ટ્રેલિયન સરકાર આપે છે એને કારણે ભારતીયોએ ત્યાં સારી એવી જમાવટ કરી દીધી છે. હવે સ્થિતિ એ આવી છે કે ત્યાં રહેલા ભારતીયો મંદીના દિવસોમાં વતની ઓસ્ટ્રેલિયનનોની આંખમાં કાચના કણાની જેમ ખટકી રહ્યા છે. છેલ્લા છ મહિનામાં ભારતીયોને નિશાન બનાવીને ઓસ્ટ્રેલિયનોએ હુમલાઓ કર્યા છે. ઓસ્ટ્રેલિયન સરકારે ભારતીયો પરનાં હુમલાઓના કિસ્સાઓને છુપાવ્યા છે અને કેટલાક લોકોએ હવે સ્થળાંતર પણ શરૂ કરી દીધંુ છે. આ સ્થિતિનો સામનો કરવા માટે ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્ન શહેરમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓએ એની સંસદને ઘેરીને દેખાવો કરી પોતાનાં અધિકારો માટે મોટી લડત છેડી છે. જેને કારણે સમગ્ર વિશ્વ્વમાં શિક્ષણ માટે કંકોતરી વહેચતા ફરતા ઓસ્ટ્રેલિયન રાજદૂતોની ઝુંબેશમાં મોટુ ગાબડુ પડી ગયું છે અને આવનારા દિવસોમાં કોઇ પણ એશિયન વિદ્યાર્થી ભણવા માટે ઓસ્ટ્રેલિયા ન જાય તે સ્થિતિ સર્જાઇ છે. ભારતમાં ઓસ્ટ્રેલિયન રાજદૂતાવાસે હમણા બે વર્ષ પહેલા જ લોન્ચ કરેલો ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી પાથ-વે પ્રોગ્રામ (એયુપીપી)ને આ આંદોલનોને કારણે મોટો ફટકો લાગ્યો છે. સમગ્ર ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં ભારતીય વિદ્યાર્થીઓનો સિંહફાળો છે. ઉપરાંત વિકટોરીયામાં ૯૫હજાર ભારતીય વિદ્યાર્થીઓનાં લગભગ ૫૦હજાર જેટલા મકાનો છે. ભારતીયોનાં આટલા મોટા મુકામો હવે વિના ધરતીકંપે વતનીઓની કિન્નાખોરીને કારણે હચમચવા લાગ્યા છે. જો ઓસ્ટ્રેલિયન સરકાર યોગ્ય નિર્ણય નહિ લે તો આ સ્થિતિનાં ગંભીર પરિણામો સામે આવશે.
ફરીથી મારા મનની જ વાત આપ સાહેબે કહી છે, મે આ વિચાર છ મહિના પહેલા જ વિચારી ચુક્યો હતો પણ વિદેશનો અનુભવ ન હોવાથી જ વધુ લખી ન શક્યો હતો પણ આપે મારા મનની ઈચ્છા પુરી કરી આપી છે, મારા પુત્રને પણ મે ન્યુઝીલેંડ મોકલવાનો વિચાર ગયા વરસે જ કરેલો અને હવે તો ગ્રેજ્યુએટ થઈ જાય એની રાહ જોતા હોવાથી અને આવા સમાચારો વધુ આવવાથી હવે તો વિદેશમાં પણ જવુ કે નહિ એ અવઢવમાં હોવાથી હવે વિચાર થોડો મોળો પડે છે…. ફરીથી ધન્યવાદ આખો ઉઘાડનાર લેખ બદલ……