ધોરણ ૧૨ સાયન્સના પરિણામોમાં જે વિદ્યાર્થીઓ ઊંચી ટકાવારી લઇ આવ્યા છે તેમનું તો પોતાના ભવિષ્યના પથ તરફ પ્રયાણ ટુંકસમયમાં શરૂ થઇ જશે. પરંતુ જે વાલીઓના સંતાનો અણધાર્યા પરિણામોનો ભોગ બન્યા છે તેમની પરિક્ષા ખરેખર હવે શરૂ થાય છે. આપકા સમય શુરૂ હોતા હૈ અબ…બાળકો જયારે ધાર્યા કરતા ઓછા પરિણામો લાવે ત્યારે એમને બે જ બાબતની જરૂર હોય છે, આશ્વ્વાસન અને માર્ગદર્શન. પરંતુ આપણે કંઇક ત્રીજી બાબત એને આપતા હોઇએ છીએ. એ છે ઠપકો. ઠપકાનો આ સમય નથી. ઠપકો આપનાર વાલીઓએ સહુથી પહેલા પોતાની માર્કશીટો ઘરનાં આગલા રૂમમાં પ્રદર્શનમાં મુકવી જોઇએ. અલબત્ત ગઇ પેઢીનાં એવા પણ સીતારાઓ છે જેઓ એક ફાનસમાં પાંચ ભાંડરડા વાંચતા હોય અને તમામ ઊંચા પરિણામો લાવીને ઘરના અંધારીયા ખોરડાને પોતાનાં અથાક પરિશ્રમથી ઉંચે લાવીને અજવાળતા હોય. ધોરણ ૧૨ સાયન્સની સહુથી મોટી સમસ્યા એ છે કે, કુલ પરિણામમાં દસ ટકા વિદ્યાર્થીઓ એવા હોય છે જેઓ ૮૦થી ૯૦ટકાની રેંજમાં ચાલતા હોય છે અને તેમનું પરિણામ ૫૦થી ૬૦ ટકા વચ્ચે આવે છે.આવા કિસ્સાઓમાં પ્રોફેશનલ અભ્યાસક્રમોને બદલે મેઇન કોલેજનાં અભ્યાસક્રમો સ્વીકારવા પડે. જો કે હવે બી.એસસી., માઇક્રોબાયોલોજી ઉપરાંત બાયોટેક અને બાયોકેમ પણ થાય છે. ઉપરાંત ૧૨ સાયન્સ પછી બીસીએમાં પણ જઇ શકાય છે, બીબીએમાં પણ જઇ શકાય છે. કેટલાક ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ કોમર્સમાં પણ ઝંપલાવે છે. બીબીએની સરખામણીમાં ઇંગ્લિશ મીડીયમમાં જેઓ બીકોમ કરે છે તેઓ આગળ નીકળી જતા હોવાનું શિક્ષણવિદ્દોનું તારણ છે. બીજા અસંખ્ય પરચુરણ અભ્યાસક્રમો છે જે વ્યવસાયલક્ષી છે. પરંતુ એ આડી અવળી ગલીઓમાં ન ઉતરીયે તો પણ મુખ્ય પ્રવાહમાં વિકાસની ઘણી તકો છે. આજે એમએસસી ફીઝીક્સ કે એમએસસી બાયોલોજીના વિદ્યાર્થીઓ મળવા મુશ્કેલ છે. બી.એડમાં પણ વિજ્ઞાનની સીટો હવે ભરાતી નથી અને એ જગ્યાઓ ભાષામાં રૂપાંતરીત કરવી પડે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં બી.એડ એડમીશન વિભાગનાં વડા ડોકટર રામાનુજની નજરે આખા સૌરાષ્ટ્રને જુઓ તો ખ્યાલ આવશે કે, વિજ્ઞાનની વિદ્યાશાખાઓમાં બી.એડ કરનારા લોકોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે. વ્યક્તિગત ટકાવારીના ધોરણે જુઓ તો ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ નીચુ આવ્યું છે એને કારણે પ્રવેશના ધોરણોની ટકાવારી પણ નીચી જશે અને આ વર્ષે સરકારે જે નવી એન્જિનિયરિંગ કોલેજોને મંજૂરી આપી છે તેમા પણ બહુ ઉદારતાના ધોરણો દાખલ કરવાના રહે છે. બી.એડ અને પીટીસીમાં મેનેજમેન્ટ કવોટાની સીટોની હાલત હવે લગભગ ખાલી રહેવા જેવી થઇ ગઇ છે. જે મેનેજમેન્ટ કવોટાની સીટો એક જમાનામાં બે – બે લાખ રૂપિયાથી ભરાતી હત તેનાં હવે ૧૦હજાર રૂપિયા આપવા પણ કોઇ તૈયાર થશે કે કેમ ? એ ગંભીર સમસ્યા છે. આ વર્ષે જ ગુજરાતની કેટલીક પીટીસી અને કેટલીક બી.એડ કોલેજોને તાળા વાગવાની સંભાવના છે. બી.એડ અને પીટીસીના ક્રેઝને કારણે રાતોરાત જે બીલાડીના ટોપ ઉગી નીકળ્યા હતા તે હવે મશરૂમના શાક તરીકે પણ વાપરી શકાય તેમ નથી. પરંતુ જે સંસ્થાઓએ આ પ્રકારનાં અભ્યાસક્રમો નિષ્ઠાપૂર્વક અને આદર્શ રીતે ચલાવ્યા છે તથા ઉંચા પરિણામો બેસાડયા છે તે કોલેજો ચાલવાની છે અને કાયમ ચાલવાની છે. એટલે કે શિક્ષણ ખાતર શિક્ષણ ચાલુ રહેશે પરંતુ વેપાર ખાતર શિક્ષણ બંધ થઇ જશે. વાલીઓ માટે કે સંચાલકો માટે શિક્ષણ એ કોઇ પાર્ટ ટાઇમ ચિંતનનો વિષય નથી. જેઓ એમાં ઓતપ્રોત રહે છે અને સતત ઘ્યાન આપે છે તેમના જ અનુક્રમે વિદ્યાર્થીઓ અને સંતાનો આ ક્ષેત્રમાંથી કશુંક નક્કર સત્વ તત્વ પ્રાપ્ત કરીને જીવનના રોમાંચનો અનુભવ કરી ઊંચુ માથુ રાખી સફળતાથી દીક્ષિત થાય છે. ધોરણ ૧૨ સાયન્સનાં પરિણામોની બીજી એક સમસ્યા એ પણ છે કે આ વિદ્યાર્થીઓએ છેલ્લા બે વરસમાં શાળા પાઠય પુસ્તક અને ટયુશન એ સીવાયની દુનિયા જોઇ જ હોતી નથી. જાણે કે, એમનાં આ દુનિયા સાથેના વર્ષોમાંથી બે વર્ષ બાદ ન થઇ ગયા હોય.! સાયન્સ કોલેજો પણ ચિંતીત પરિસ્થિતિમાં છે. આવનારા વર્ષોમાં અનેક અઘ્યાપકો સરપ્લસ થવાની સ્થિતિમાં છે. ગ્રાન્ટેડ કોલેજોની હાલત તો આવનારા વર્ષોમાં વધુ ખરાબ થવાની સંભાવના છે. જે અઘ્યાપકોએ ઊંચા પગારો લઇને વિદ્યાર્થીઓને ભણાવ્યા નથી અને રખડતા છુટ્ટા મુકી દીધા છે એમને પણ એ જ સ્થિતિમાં આવનારા વર્ષોમાં સામનો કરવાનો આવશે કારણ કે, ધોરણ ૧૨ સાયન્સ પાસ કરીને આવેલા વિદ્યાર્થીઓનું આકર્ષણ મેડીકલ એન્જિનિયરિંગ જેવી પ્રમુખ વિદ્યાશાખાઓ બાદ સાયન્સ કોલેજને બદલે બીસીએ કોલેજ કે બીબીએ કોલેજ તરફ વધુ છે. આનો સારવાળો બહુ જોખમી રીતે વિદ્યાશાખાઓનાં પ્રવાહને પ્રભાવિત કરશે એવુ અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓનું વલણ જોતા દેખાઇ રહ્યું છે. શિક્ષણનું અને મેડીકલનું ક્ષેત્ર અત્યંત પવિત્ર ક્ષેત્ર છે. જેમ ધર્મમાં એમ કહેવાય છે કે, અન્ય ક્ષેત્રોમાં પૃથ્વી કરેલા મનુષ્યનાં પાપોમાંથી એને ત્યારે મુક્તિ મળે છે જયારે એ તીર્થક્ષેત્રમાં પ્રવેશે છે. પરંતુ તીર્થક્ષેત્રમાં કરેલા પાપોમાંથી મુક્તિ મળે એવુ કોઇ ક્ષેત્ર આ બ્રહ્માંડમાં નથી. શિક્ષણ અને મેડીકલ એ બંને પણ એવા જ પવિત્ર ક્ષેત્ર છે કે જેમાં કરેલા પાપોમાંથી મુક્તિ મળતી જ નથી. અહીનું અહી જ ભોગવવાનું છે. પોતાના વાંકે સહન કરવું પડે તો વિદ્યાર્થીને વાંધો નથી પરંતુ ગુરુજનોની આળસના વાંકે જે વિદ્યાર્થીઓએ સહન કરવું પડે છે તેના નીસાસા એ ગુરુજનોને ચોક્કસ લાગે છે. આ વર્ષે જે થયું તે, હે સરસ્વતીનાં ઉપાસકો નવા શૈક્ષણિક વર્ષમાં ઘ્યાન રાખજો….
May
31
2009