આપણે ત્યાં ગાંધી સાહિત્ય એક વિશેષ પ્રકારનો પ્રવાહ છે. હમણાં એમાં એક મહત્વનો વળાંક આવ્યો છે. ભારતીય કોપીરાઇટ એકટ પ્રમાણે કોઇપણ લેખકના મૃત્યુંના ૬૦વર્ષ પછી એ પુસ્તકોના કોપીરાઇટ પરનો અધિકાર લેખક અને એનો પરિવાર ગુમાવે છે અને એ અધિકાર પ્રજાના હાથમાં આવે છે એટલે કે, કોઇ પણ વ્યક્તિ એ પુસ્તકને છાપી શકે છે. પ્રકાશકો સામાન્ય રીતે તો રાહ જોઇને બેઠા હોય છે કે, સારા પુસ્તકો કયારે કોપીરાઇટથી મુક્ત બને. ગિજુભાઇ અને તારાબેનનું બાળસાહિત્ય કોપીરાઇટ મુક્ત બન્યું ત્યારે બહુ બધા પ્રકાશકોએ એમની બાળવાર્તાઓ છાપવાની શરૂઆત કરી. પરંતુ આખરે સમજણપૂર્વક છાપનારા પ્રકાશક તરીકે આર.આર.શેઠનાં પ્રકાશનો જ માર્કેટમાં ટકી શકયા. સોનું હાથમાં આવે એટલે તુરત એનો ઘાટ ઘડાઇ જતો નથી, ઘાટ ઘડનારા કુશળ હાથમાં સોનુ આવે ત્યારે એનું મૂલ્ય સોના જેવું થાય છે. આજકાલ ગાંધીજીનાં પુસ્તકો કોપીરાઇટ મુક્ત હોવાને કારણે પ્રકાશકો વચ્ચે હોડ શરૂ થઇ છે. પરંતુ લોકમિલાપનાં શ્રી મહેન્દ્ર મેઘાણીએ જેઓ પોતે હવે પોતાની ઢળતા ઢાળની ઉત્તરાવસ્થાએ છે એમણે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ અને સત્યના પ્રયોગો બંને પુસ્તકોને સંમિલિત કરીને એનો સાર સંક્ષેપ તૈયાર કરી નવી આવૃત્તિ હમણાં જ બજારમાં મુકી છે જેની પાંચ હજાર પ્રતો અમરેલી જિલ્લાનાં કલ્યાણાર્થે પુસ્તકપ્રેમી એકલવીર શ્રી કિશોરભાઇ મહેતાએ પહેલે ધડાકે મેળવીને એની વેચણી અને વહેચણી શરૂ કરી છે. કિશોરભાઇની ઇચ્છા તો અમરેલી જિલ્લામાં માત્ર દસ રૂપિયાના આ પુસ્તકની એક લાખ નકલ વહેંચવાની છે. અમરેલી જિલ્લાનું એક બીજી મહત્વની બાબત પ્રત્યે ઘ્યાન જવું જોઇએ તે એ છે કે, ઝવેરચંદ મેઘાણીનાં પુસ્તકો પણ હમણા જ કોપીરાઇટ મુક્ત થયા. જે પુસ્તકો ‘પ્રસાર’ અને ‘લોકમિલાપ’ દ્વારા આજ સુધી પ્રકાશિત થતા હતા તે હવે દરેક પ્રકાશકો માટે છાપવા માટે ઉપલબ્ધ બન્યા. ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો જે રીતે તેમના સંતાનોએ સુંદર રીતે અત્યંત સન્માનપૂર્વક અને સાહિત્યિક ચીવટ સાથે આજ સુધી પ્રકટ કર્યા તેવી ચીવટની અપેક્ષા બીજા પ્રકાશકો પાસેથી આપણે રાખવી પડે. આપણા સૌરાષ્ટ્રમાં પ્રવીણ પ્રકાશનવાળા ગોપાલભાઇની હેસિયત અમદાવાદ, વડોદરાનાં પ્રકાશકો કરતા પણ એક વેંત ઊંચી છે. કારણ કે, એ પોતે પણ મેગા પ્રોજેકટના શોખીન છે. ભગવતગૌમંડલ પછી તેમણે વિવિધ શાસ્ત્રગ્રંથો બહુ મોટા બજેટવાળા આપ્યા.તેમનો એક એક પ્રોજેકટ લગભગ કરોડ રૂપિયાને વટી જનારો હોય છે. એ ગોપાલભાઇએ હમણાં પૂનાની ભાંડારકર ઇન્સ્ટિટયુટના આધારભુત પ્રકાશન મહાભારતનાં તમામ વોલ્યુમ ગુજરાતીમાં મુકવાની શરૂઆત કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, જેને પાઠ સંશોધન એટલે કે, ટેક્ષ્ચ્યુઅલ ક્રિટિસિઝમ કહેવાય તેના સિદ્વાંતોને આધારે આ મહાભારતનું સંપાદન કરેલુ છે. એના મુખ્ય સંપાદક તરીકે સુપ્રસિદ્વ મરાઠી વિદ્વાન મિસ્ટર સુકથનકરે (કેટલાક એનો ઉચ્ચાર સુકથાનકર પણ કરે છે) લગભગ પોતાનું સંપૂર્ણ આયુષ્ય એમા સમર્પિત કરીને અપાર પ્રાચીન હસ્તપ્રતોનાં વંશવૃક્ષોમાંથી આધારભુત વેદવ્યાસની મુળ પાઠ પ્રમાણેની પ્રત તૈયાર કરેલી છે. (એન્સાયકલોપીડિયા બ્રિટાનિકામાં ‘ટેક્ષ્ચ્યુઅલ ક્રિટિસિઝમ’નું અધિકરણ આ મિ.સુકથનકરે જ લખેલુ છે એના પરથી એ વિષય પરનાં તેમનાં વૈશ્ચિક પ્રભુત્વનો અંદાજ લગાવી શકાય છે) પણ આપણા માટે સૌથી વધુ મહત્વની વાત એ છે કે, એની જે ગુજરાતી આવૃત્તિ તબક્કાવાર પ્રવીણ પ્રકાશને માર્કેટમાં મુકવાની શરૂઆત કરી છે તે મહાગ્રંથોનો આખો કાફલો અમરેલીના સંસ્કૃત વિદ્વાન શ્રી વસંતભાઇ પરીખના અથાક પરિશ્રમનુ પરિણામ છે. પૃથ્વી પર જે કેટલીક રસની ખાણ માનવામાં આવે છે, મહાભારત તેમાંની એક છે. રમેશ પારેખનાં જમાનામાં અમરેલીમાં મુદ્રાપ્રકાશન હતુ અને એમાં મુંદ્રાકન સામયિક પ્રગટ થતું હતુ અમરેલીના કવી શ્રી હર્ષદ ચંદારાણાએ મુદ્રાંકનને અને પ્રકાશનને ફરી સજીવન કરવાની જરૂર છે. પર્યાવરણવિદ્દ જીતુભાઇ ઝાડવાવાળાને લાભશંકર પુરોહિત તો વૃક્ષેશ્વ્વર અને ઝાડેશ્વ્વર તરીકે ઓળખાવે છે. એમનું આયુર્વેદ પ્રકાશન હવે સસ્તુ સાહિત્ય મુદ્રણાલયનાં પ્રકાશનોથી પણ આગળ નીકળી ગયું છે અને એમના મેગા પ્રોજેકટ પણ કરોડોને વટવા લાગ્યા છે. ગુજરાતી પ્રકાશન સૃષ્ટિ એક નવા યુગમાં પ્રવેશી રહી છે.
May
21
2009
આ બધું online પણ થવા દેજો મારા ભાઈ! એના એક કહેતાં હજાર ફાયદા ગણાવી શકાશે!
બહુ સારા સમાચાર છે.
હવે એક પછી એક એમ ગુજરાતી સાહિત્યરત્નોનો ખજાનો ખૂલશે. આપણૌ પેઢી ભાગ્યશાળી છે કે એનો આરંભ આપણેય પામી શકીશું.
લેખ માટે આભાર ને ધન્યવાદ.
જરાતી પ્રકાશન સૃષ્ટિ એક નવા યુગમાં પ્રવેશી રહી છે.
મઝાની મહિતી.
બહુજ સારા સમાચાર ,કોપી રાઇટ એક્ટ મુક્ત થવાથી લોકો બ્લોગ દ્વારા ગાંધીજી ની ,મેઘાણી ની વાતો લોકો સુધી મોકલશે. હવે લોકો ઘણુબધું સરળતા થી અને સસ્તામાં વાંચી અને માણીશકશે.