દેશનાં અડધા નાગરિકો એવા છે જેમને મત આપવાની કાંઇ પડી નથી

હજારો વર્ષોની વિવિધ પ્રકારની રાજય પ્રશાસન વ્યવસ્થાઓ પછી માણસ જાતે શોધી કાઢેલી અજાયબ વ્યવસ્થા એ લોકશાહી છે. આ એક આધુનિક શાસન પ્રણાલિકા છે. જે દેશમાં લોકશાહી હોય અને ૫૦ટકા જેટલા નાગરિકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતા ન હોય તો તેઓ લોકશાહીને લાયક છે એવું શી રીતે માની શકાય ? એટલે આપણા દેશનાં અડધા નાગરિકો એવા છે જેમને મત આપવાની કાંઇ પડી નથી. એને કારણે પરિણામો ઇદમ તૃતીયમ પ્રકારનાં જ આવતા હોય છે. જનરલ લોકમત તમે સાંભળો તો જુદો હોય અને પરિણામ એનાથી જુદુ હોય. એનુ કારણ એ છે કે, જનરલ લોકમત આપવામાં પેલા મત આપવા નહિ ગયેલા આળસુ બેવકુફોની જમાત પણ ભળેલી હોય છે. અને મતદાનની ટકાવારી ઓછી હોય છે. એટલે કોથળામાંથી નાની સાઇઝનું બિલાડુ નીકળે છે. નાની સાઇઝ એટલે બહુ ઓછી લીડ.. દેશમાં કેટલાક વિસ્તારો છે જ એવા, લખણે પુરા કે જયાં હંમેશા લીડ બહુ પાતળી હોય છે. જીતનો આનંદ ખરો પરંતુ પાતળી લીડને કારણે જીતેલા ઉમેદવારને બહુ ફાંકો રાખવાનો રહેતો નથી અને હારેલાએ પોતે જંગી બહુમતીથી હાર્યા હોવાનો અફસોસ કરવાનો રહેતો નથી પરંતુ હારેલાને પુરા પાંચ વરસ સુધી એક જ વિચાર આવે છે કે, અરે..રે..સાવ આટલા મતે હું હારી ગયો ? અને એની આજુબાજુનાં ચમચા ચમચીઓ આ ખાલીપાનાં પાંચ વરસ દરમિયાન એ જ વાત કહ્યા કરે કે, આમ કર્યુ હોત તો આટલા મત આપણ ને મળી જ જાત. આવી આવી નોનસેન્સ ચર્ચાઓમાં પાંચ વરસ પસાર કરવા એ પણ એક પ્રકારનું તપ જ છે ! જે લોકોએ મત નથી દીધા હોતા એટલે કે મતદાનને દિવસે ઘરની બહાર જ નીકળ્યા ન હોય એવા કંઇ કેટલાય લોકો વળી આ ચૂંટણીના પરિણામોની ચર્ચામાં ઝંપલાવશે. રાજકારણીઓ પાસે ફરજિયાત મતદાન કરાવવાનાં વિકલ્પો છે અને એવા નીયમો પણ ઘડી શકાય કે જેમાં નાગરિકે મતદાન કરવું પડે પરંતુ એમાં વળી એ પાછુ જોખમ એ રહેલુ છે. સિત્તેર ટકાથી વધુ મતદાન થાય તો જીતવાવાળા હારી જાય અને હારવાવાળા જીતી જાય એટલે ખંધા અને લુચ્ચા રાજકારણીઓ એમ માને છે કે, જે ચાલે છે તે બરાબર છે. દરેક ચૂંટણીમાં કંઇ પરિણામોની રાહ જોવાતી નથી. મોટાભાગનાં મતવિસ્તારોમાં ખબર પડી જ જતી હોય કે કોણ જીતશે અને કોણ હારશે. આપણે ત્યાં પરિણામો આવ્યા પછી જ વ્યાખ્યાનો કરવાની મજા છે. એનુ વિશ્વ્લેષણ ખુબ સહેલુ પડે છે. આમ થવાને કારણે આમ થયું. એમ પણ કહી શકાય કે, હંુ તો કહેતો જ હતો કે, આમ જ થશે. પણ તમે માનતા નહોતા, તમે પબ્લિકને શું માનો છો ? એટલે આપણે ત્યાં પરિણામો પહેલાની જેને લોકપરિષદ કહેવાય જે પાનના ગલ્લે, પાટીયે, ઓટલે કે ગામને પાદરે મળતી હોય છે એનો મોટો રાઉન્ડ પુરો થાય છે. અને હવે પ્રાપ્ત પરિણામો પરની વિદ્વત્તાપૂર્ણ અને મૂર્ખતાપૂર્ણ એવી બે પ્રકારની ચર્ચાઓનો મોટો રાઉન્ડ શરૂ થયો છે.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

Gravatar
WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s