લગભગ ઘણા વર્ષો પછી પ્રમાણમાં રિવોલ્યુશનરી કહેવાય એવો અભિગમ ભારતીય મતદારોએ દાખવ્યો છે. ડાબેરી પક્ષોને તો એક ઉપાડીને લાફો માર્યો છે. કારણ કે, સરકાર ચલાવવામાં આ ડાબેરી પક્ષો સતત સખળ – ડખળ કર્યા કરે છે એની પ્રજાને ખબર પડી ગઇ છે એટલે એને તો લગભગ ફેંકી જ દીધા છે. તે જ રીતે પ્રાદેશિક પક્ષોને પણ ઘણો બોધપાઠ મળે એવો ફટકો મતદારોએ માર્યો છે. ડાબેરી પક્ષોની રાજકીય કારકિર્દી રાષ્ટ્રીય હિતોનાં સંદર્ભમા ઘણી વાર સંદિગ્ધ રહી છે અને વારંવાર તેઓ અવિશ્વ્વસનીય ભૂમિકા અદા કરવા માટે નિમિા બનેલા છે. પણ એનો અર્થ એ નથી કે, પ્રાદેશિક પક્ષો સાવ ધોવાઇ ગયા છે. એ તો ફરી પાછા બેઠા થશે, ૧૯૭૭માં કોંગ્રેસનો લગભગ સંપૂર્ણ વિનાશ જ થઇ ગયો હતો. ફિનિકસ પંખીની જેમ કોંગ્રેસ એ વિનાશમાંથી ફરી બેઠો થયેલો પક્ષ છે. એ જ રીતે ૧૯૮૪ની સંસદની ચૂંટણીમાં ભાજપને બે જ બેઠક મળી હતી. ભાજપ પણ એવા વિનાશને વેઠી ચુકયો છે અને ફરી બેઠો થયો છે. આ વખતે ભાજપે રાષ્ટ્રીયસ્તરે પ્રજાનો ચુકાદો માથે ચડાવીને પોતે સરકારનું નેતૃત્વ ન કરી શકવાની સ્થિતિમાં હોવાને કારણે આત્મદર્શન કરી પોતાની ભૂલો સુધારવાનું મતદારોને વચન આપ્યું છે. કોંગ્રેસને મોટા ગજાનાં રાષ્ટ્રીયપક્ષ તરીકે આટલી મોટી સ્વીકૃતિ લગભગ અઢારેક વર્ષ પછી મળી છે. પણ આમાં એક જોખમ એ રહેલુ છે કે, શ્રીમાન રાહુલ ગાંધી કે, જેમને હજી રાષ્ટ્રીય નેતૃત્વ કરવાને થોડીવાર છે અને જો આ જીત સીધી યુપીએના ખાતે જમા લેવાને બદલે રાહુલ ગાંધીનાં ખાતે જમા લેવામાં આવશે તો નહેરુ ગાંધી પરિવારની સત્તા પરંપરાનો ઐતિહાસિક આલેખ રાજકીય પુખ્તતા પૂર્વે આગળ વધવા લાગશે. આ જીતનો કોંગ્રેસ અને યુપીએ અનર્થ ન કરે તે પણ જરૂરી છે. તો જ આ વિજય એણે પચાવ્યો ગણાશે. આમ પણ દુનિયાનાં કોઇ પણ યુદ્વમાં કોઇ પણ સ્પર્ધામાં હારેલા માટે હાર પચાવવી જેટલી અઘરી છે એનાથી અનેકગણી અઘરી વસ્તુ તો જીત પચાવવાની છે. એ જીત હવે કોંગ્રેસ કઇ રીતે પચાવી જાણે છે તે જોવાનંુ રહે છે. સંસદની ચૂંટણીઓમાં પ્રચાર પૂરતું જ રાજયોનાં રાજકારણનું મહત્વ હોય છે. પછી તો રાષ્ટ્રીય ચિત્ર જ મહત્વનું હોય છે. રાજય કે જિલ્લાનું રાજકારણ દિલ્હીનાં તખ્તામાં પછી લાપતા થઇ જાય છે. નદી સમુદ્રમાં ભળી ગયા પછી પોતાને પૂર્વ રૂપે પામી શકતી નથી એમ દેશભરનાં સ્થાનિક રાજકારણના પ્રવાહો પરિણામોનાં વિજય નાદો સાથે રાષ્ટ્રીય રાજકારણનાં સમુદ્રમાં એકવાર ભળી જાય એટલે પછી જે ચિત્ર રહે છે એ રાષ્ટ્રીય ચિત્ર જ રહે છે. ભારતીય પ્રજાનાં મતદાનમાંથી પ્રાપ્ત થતાં સુચિતાર્થો ગૂઢ અને ગંભીર પ્રકારનાં છે. આ વખતે અનેક ગૌણ પક્ષો ધોવાઇ ગયા છે અને એના ભાગનાં મતો ભાગે પડતા એન.ડી.એ. અને યુ.પી.એ.ને મળ્યા છે. ભાજપનાં નેતૃત્વમાં એન.ડી.એ. અને કોંગ્રેસનાં નેતૃત્વમાં યુપીએ દેશનાં મુખ્ય રાષ્ટ્રીય પક્ષો તરીકે પ્રગટ થયા છે. પરિણામોને નકારાત્મક દ્રષ્ટિએ ન જોઇએ તો એમ કહી શકાય કે, યુપીએ ભારતનો વર્તમાન છે તો એન.ડી.એ. ભવિષ્ય છે. મોટે ભાગે અત્યાર સુધી કોંગ્રેસ માટે તો એવું જોવામાં આવ્યું છે કે, હિન્દીભાષી રાજયોમાં કોંગ્રેસને લોકોએ સ્વીકારી હોય તો દક્ષિણનાં રાજયોમાં કોંગ્રેસનો પત્તો ન હોય અને જો દક્ષિણમાં આગળ હોય તો હિન્દીભાષી રાજયોમાં ધોવાણ થયું હોય પરંતુ આ વખતે બંને બાજુથી કોંગ્રેસને સારો એવો વિજય હાંસલ થયો છે. ધારણા બહારનાં પરિણામો એને જ પરિણામો કહેવાય પરંતુ એ તો આપણી સ્વાભાવિક સાયકોલોજી છે કે પરિણામને સ્વીકારતા થોડીક વાર લાગે છે. કોંગ્રેસે પોતે ધાર્યુ હતંુ એના કરતા ઉજળા પરિણામો એને મળ્યા છે. અને ભાજપે પોતે ધાર્યુ હતુ એના કરતા નબળા પરિણામો એને મળ્યા છે. દેશની રાજકીય ક્ષિતિજ પર ગઇકાલે મઘ્યાહ્નવેળાથી નવી લોકસભાનો ઉદય શરૂ થયો હતો. જે સાંજ સુધીમાં એકદમ સ્પષ્ટ સ્વરૂપે સાક્ષાત થઇ ગયો હતો. ડો. મનમોહનસિંહ, શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ત્રિપુટીએ કોંગ્રેસને એકવેંત ઊંચા આસને બેસાડી છે. નવી સરકાર સામે મહત્વનાં પડકારો ઊભા છે. અગાઉ રજુ કરેલું વચગાળાનું બજેટ હવે ટુંકસમયમાં પરિપૂર્ણ કક્ષાનાં બજેટ સ્વરૂપે દેશનાં આર્થિક વિકાસની વાર્ષિક બુનિયાદ બનીને રજુ થશે. સંસદના ચોમાસુ સત્રમાં જ સંખ્યાબંધ વિકાસનાં કામો અને કેટલાક પડતર રહેલા નિર્ણયો કેન્દ્ર સરકારે ઝડપથી લેવા પડશે. રાજયમાં કે કેન્દ્રમાં એની એ જ સરકારનું પુનઃ સત્તારોહણ થાય એટલે કે, શાસક પક્ષનું સાતત્ય જળવાય એના અનેક ફાયદાઓ છે. આ વખતે એવા ફાયદાઓ ભારતીય પ્રજાને મળશે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે
અસ્તુ વન્દે માતરમ