વાસ્તુ વિષે લગભગ બધા જ જાણે છે. વાસ્તુનો અર્થ છે ઘરની બનાવટ અને શણગારની પદ્ધતિ. આ પદ્ધતિ એવી હોય કે જેથી આપણા ઘરમાં રહેલી ઉર્જાનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ. વાસ્તુ ઘરમાં રહેવાના નિયમો જણાવે છે. દરેક વસ્તુનું એક ચોક્કસ સ્થાન હોય છે અને તેને તે જ રીતે રાખવી જોઈએ, જેથી ઉર્જાનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકે.
ભારતીય વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂવાની જગ્યા પણ નક્કી છે. એટલે કે દક્ષિણ તરફ માથુ અને ઉત્તર તરફ પગ રાખીને સૂવાથી શરીરની ઉર્જા નષ્ટ થતી નથી. તેના લીધે વ્યક્તિ ઉત્સાહપૂર્વક કામ કરી શકે છે. આ આખી વાત વિજ્ઞાન પર આધારિત છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી એક મોટા ચુંબક જેવી છે અને તેના ચુંબકીય તરંગોનો આપણા રક્ત કણો પર સીધો પ્રભાવ પડે છે. સૂવાની સ્થિતિમાં આપણું રક્ત સંચાર આ તરંગો દ્વારા સતત પ્રભાવિત થાય છે. પ્રયોગો દ્વારા એ સિદ્ધ થયું છે કે દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાથી સ્વાસ્થ્ય તો સારૂ રહે જ છે, સાથે સાથે આપણી ચારેય તરફ ફેલાયલી કોસ્મિક ઉર્જાને શરીર શોષી લે છે.
વાસ્તુશાસ્ત્રમાં દિશાનું ખૂબ જ મહત્વ છે કેમ કે સૂર્ય એ જ પૃથ્વી પરની મુખ્ય ઉર્જા છે. સૂર્યની ગતિને લીધે ઘરની ઉર્જા બદલાતી રહે છે. આ સિદ્ધાંત પર અગ્નિખૂણાની કલ્પના કરવામાં આવી છે. તે માટે ઘરના દક્ષિણ પૂર્વના ખૂણાને યોગ્ય માનવામાં આવે છે. અગ્નિખૂણામાં ઘરનું રસોડું બનાવવાથી લાભ થાય છે.
ઉત્તર-પૂર્વની દિશાની વચ્ચેનાં ખૂણાને ઈશાન કહેવાય છે. તેથી પૂજા ગૃહ આ ખૂણામાં જ હોવું જોઈએ. બીજા રચનાત્મક કાર્યો જેવા કે લેખન વગેરે આ ખૂણામાં કરવાથી ચોક્કસપણે લાભ થાય છે.
ઘરમાં ઉર્જાનો પ્રવેશ મુખ્ય દરવાજાથી થાય છે. પૂર્વ અને ઉત્તર દિશાને ઉર્જા પ્રધાન દિશા કહેવાય છે. તેથી પ્રવેશ દ્વાર ઉત્તર કે પૂર્વમાં રાખવામાં આવે તો તેમાં રહેનારની કાર્ય પ્રત્યે રૂચિ કેળવાય છે. ઘરમાં ઉર્જા જાળવવા માટે વિના કારણે ઘરનાં દરવાજા ખુલ્લા રાખવા જોઈએ નહીં. ઉર્જાનું સંતુલન જાળવવા ઘરના કુલ દરવાજાની સંખ્યા સરખી હોવી જોઈએ.
જો આ સંખ્યા સરખી ન હોય તો તેના ખરાબ પરિણામ આવે છે. ઘરમાં વધુ દરવાજા હોય તો અતિરિક્ત ઉર્જા પેદા થાય છે. તેથી કોઈ ઘરમાં દસ કે દસનાં ગુણાંકમાં જેમ કે વીસ કે ત્રીસ દરવાજા ન હોવા જોઈએ.
ઘરનું કેન્દ્રીય સ્થાન ઘણું મહત્વનું છે. તેને બ્રહ્મ સ્થાન પણ કહેવાય છે. આ સ્થાન મનુષ્ય શરીરમાં હૃદય જેટલું મહત્વ ધરાવે છે તેટલું જ મહત્વ ધરાવે છે. એક રીતે એમ કહી શકાય કે આખા ઘરમાં ઉર્જાનો પ્રસાર અહીંથી જ થાય છે. તેથી તેને હંમેશા સાફ રાખવી જોઈએ. કોઈ પણ પ્રકારનો જૂનો કે નકામો સામાન અહીં રાખવો જોઈએ નહીં.
અહીં પૂજા ઘર બનાવી શકાય. જો શક્ય હોય તો આ જ જગ્યાએ તુલસીનો છોડ લગાવવાથી સારા પરિણામ મળી શકે છે. અહીં પ્રકાશ અને હવાની સારી રીતે અવરજવર થાય તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં એકતા જાળવવા માટે પરિવારનાં બધા જ સભ્યોએ દિવસમાં એક વખત આ જગ્યાએ બેસીને વાતચીત કરવી જોઈએ.
નૈઋત્ય ખૂણામાં ઘરનું ટોયલેટ, બેડરૂમ કે સ્ટોરરૂમ બનાવવા જોઈએ. આ ઘરનો દક્ષિણી પશ્વિમી વિસ્તાર છે. ઘરનો વજનદાર સામાન અહીં મૂકી શકાય, પણ નકામો સામાન અહીં ન મૂકવો. આ ખૂણામાં ઘરનો મુખ્ય દરવાજો ન હોવો જોઈએ.
લોકમુખે